Sunday, 21 August 2011

જય રણછોડ માખણચોર

કૃષ્ણ એ ઘણી બધી  અદભૂત  લીલા ઓ કરી  છે તેમાં એક  વિખ્યાત માખણચોરી ની લીલા પણ  છે. વળી એમ પણ વિચાર થતો હશે કે ભગવાન ને ચોરી કરવાની જરૂર કેમ પડી?   આ લીલા નું વિસ્તારપૂર્વક વર્ણન  શ્રીમદ્  ભાગવત   નાં  દશમ  સ્કંધ  માં  આપેલું  છે. શ્રીમદ્ ભાગવત માં  આ આખી લીલા ફક્ત ૪ શ્લોક માં આપેલી છે.
               કૃષ્ણ બહુજ નટખટ છે.  કૃષ્ણ જયારે પાપા પગલી માંડતા હતા તેટલા નાના હતા, ત્યારે ગોપીઓ યશોદામાતા ને કહે છે કે તારો  લાલન  ખુબ  જ નટખટ છે અને અત્યારે તો હજુ ચાલતાં  જ નથી શીખ્યો ત્યાં તો કેટલી કૂદમકૂદી કરે છે. પગલી માંડવાની ઉંમર નું બાળક ૨-૩ વર્ષ નાં બાળક ની જેમ વર્તે  છે .
               આ માખણ ચોરીલીલા કેવળ ચોરીની વાત નથી. તેમાં કેટલાક ગૂઢ સિદ્ધાન્તો સમાયેલાં છે. જે દરેક માનવી એ પોતાના જીવનમાં લેવા જેવા છે. ભગવાન બધે જ છે. તેમના માટે કશું પોતાનું કે પારકુ નથી.            
       કૃષ્ણ એ જોયું કે વ્રજ ના પ્રજાજનો શારીરિક, નાણાંકીય અથવા આધ્યાત્મિક રીતે મજબુત નથી. તે માટે કૃષ્ણ એ લોકો ને સુધારવા  માટેનો  ઉપાય શોધ્યો.  વ્રજવાસીઓ મથુરા વાસીઓને અનાજ  આપતા  હતાં અને  ત્યાંથી રોજીરોટી કમાતા  હતાં.... પણ તેમ છતાયે તે  લોકો શારીરિક  રીતે અને પૈસા ની  દ્રષ્ટિ એ  નબળા હતા. વ્રજવાસીઓ ના બાળકો બહુ નબળા હતાં કેમ કે તેમને નિરોગી આહાર મળતો  નહતો.  કૃષ્ણ  ઈચ્છતાં હતાં કે વ્રજવાસીઓ પોતાના બાળકો ને  પહેલા ખવડાવે  અને તેમાંથી જે કંઇ અનાજ વધે તે  અનાજ મથુરા વેચવા માટે જાય.....વ્રજવાસી ઓ પોતાના બાળકો પ્રત્યે ધ્યાન આપતા ન હતાં. કૃષ્ણ એ તેના પર બંધન લાવી દીધું.
       કૃષ્ણ  હમેંશા  મીઠાશ થી અને માધુર્યતા થી કોઈ ની પણ પાસે કામ કઢાવી લેતાં  પણ કૃષ્ણ એ જ્યારે જોયું કે વ્રજવાસીઓ ને સમજાવવાં થી તેઓ માનતાં નથી ત્યારે કૃષ્ણ એ પોતાના બાળસખાઓ નાં હક્ક માટે વ્રજવાસીઓ નાં ઘર માં જઈને વ્રજવાસી ઓ વિરૂધ્ધ લડવાની શરુઆત કરી......અને  આ માટે  કૃષ્ણએ બધા સખાઓ અને વાંદરાઓ સાથે મળીને પોતાની એક ચોર મંડળી ચાલુ કરી. 
       કોઇપણ શુભ કાર્ય ની શરુઆત બ્રહ્મદેવ કરાવે તો તે કાર્ય ની સફળતાં વધી જાય ....... તેથી સૌ પ્રથમ મધુમંગલ ના ઘરે થી માખણ ચોરી ની શુભ શરુઆત કરી.ચોર મંડળી દૂધ ની, માખણ ની અને  દહીં ની ચોરી કરતાં અને પછી બધા ગોપબાળકો અને વાનરો સાથે મળી ને ખાતા હતાં અને જો કોઇ વ્રજવાસીઓ નાં ઘર માં કંઈજ ન  મળતું તો ત્યાં તેઓ મટકી ફોડતા. ચોરમંડળી  દીવાલ ની ઉપર ઉંચે લટકાવેલી મટકીમાં કાણું  પાડતા અને બધાં ગોપબાળકો એકબીજા પર ચઢી  ને  પર્વત બનાવતા  અને  મટકી  સુધી  પહોચતાં પછી બધા ભેગાં થઇ  વહેંચીને  ખાતા. કૃષ્ણ હમેંશા ગોપબાળકો ની સાથે રહીને જ ચોરી કરતા હતા. નીચે ઢોળાયેલું માખણ વાંદરાઓ ને બોલાવી ને જમીન સાફ કરાવી દેતા.  આ રીતે કૃષ્ણએ સાથે જૂથમાં રહીને કેવી રીતે કામ કરવું તે શીખવ્યું.
               દૂધ  કાઢવાનાં ગોપીઓ ના સમય પહેલા વાછરડા ને છોડી નાખતા. ગોપી ઓને કન્હૈયા ને જોયા વિના ગમતું નહીં  એટલે તે દરરોજ કાનુડા ની ફરિયાદ કરવા આવે છે અને યશોદા ને કહે છે કે તારો કાનુડો અમારા ઘરે રોજ આવે છે ને અમારા બાંધેલા વાછરડા ને છોડી મુકે છે. શ્રી મહાપ્રભુજી વાછરડા ના સંદર્ભ માં જણાવે છે કે વાછરડા એ જીવાત્માં નું પ્રતિક છે અને જયારે જીવ મુક્ત થવા માટે લાયક  બને  છે ત્યારે ઠાકુરજી જીવ ને મુક્ત કરે છે. કૃષ્ણ સ્વતંત્ર છે જેને મુક્ત કરવો હોય તેને કરે અને જેને અપનાવવો હોય તેને અપનાવે.  જે જીવ લાયક નથી તેને પણ ઠાકુરજી મુક્તિ આપે છે તે જ પુષ્ટિકૃપા છે.
                  
       આ સુંદર ફેરફારે વ્રજ ને વધારે ખુશનુમા અને મજબુત બનાવ્યું.  થોડાક જ વખત માં દરેક વ્રજવાસીઓ ખુશ રહેવા લાગ્યા અને  વિચારો માં પણ બદલાવ આવવા લાગ્યો.. ..કૃષ્ણ એ પોતાના ઘર માં પણ આ નવી રીત લાવીને ફેરફાર કર્યો છે. તેઓ નંદાલય માં પણ સખાઓને અને વાનરોને માખણ ની ચોરી કરવાં માટે બોલાવતા હતાં…….એકવાર એક ગોપી  માખણ બાજુ માં કોઈ ની ત્યાં મૂકી આવી  હતી. ત્યાં કાનુડાએ ગ્વાલમંડળી સાથે આવીને જોયું તો માખણ નથી. કાનુડા એ કહ્યું જે ઘર માં મારા માટે માખણ ના હોય તે ઘર જંગલ  છે એટલે બધાએ તે ઘરની વસ્તુઓને  વેરવિખેર કરી નાખી આનો અર્થ એ છે કે ઠાકુરજી માટે સામગ્રી ના હોય તે ઘર..... ઘર નથી પણ નરક સમાન છે. 
                      
             આ દ્વારા ઠાકુરજી કહે છે કે  હું અને તું  જેવું કંઈ નથી. હું તને પ્રેમ થી મારામાં  સમાવી શકું છુ  અને તું મને પ્રેમથી તારામાં સમાવી શકે  છે .  હું ઈશ્વર છું  અને તું જગત ની કોઈપણ જગ્યા એ વસ્તુ ને સંતાડીશ, તો પણ મારી આંખોથી તે દુર રહેવાની નથી, કેમ કે હું તારામાં પણ સમાયેલો છું.  જેના પર પ્રભુ કૃપા કરે છે તે મનથી પ્રભુ તરફ ખેંચાય જાય છે.
           

          કૃષ્ણ કહે છે કે હું  હમેંશા  કોમળ મન ની જ  ચોરી કરું છુ. જેનું  મન કઠોર હોય, તેની ચોરી કરતો નથી. ભક્તિ ના  સ્પર્શ થી  હૈયું દ્રાવક બને  છે,અને જેની પાસે ભક્તિનો પ્રવાહ હશે તેની જ ચોરી કરવી મને ગમે છેં.
         

          ભગવાન તાજું માખણ આરોગે છે, વાસી વાંદરાઓને  ખવડાવે છે. એવી  રીતે  જેનો  ભાવ  તાજો  છે, તેને    કૃષ્ણ સ્વીકારે છે. ભક્તિ તો ઘણા કરે છે, પરંતુ વિશુદ્ધ ભક્તિ કરનારા બહુ ઓછા છે.   ભગવાન તાજી વસ્તુને  હમેંશા અંગીકાર કરે છે. પ્રભુ કહે છે,  જેનું અંતઃકરણ માખણ જેવું શુદ્ધ છે એની જ હું ચોરી કરું છુ માખણ ને બનાવવા માટે પહેલા દુધને દોહવું પડે, એમાં થોડી છાશ નાખવી પડે પછી દહીં  જામે એનું વલોણું કરવું પડે. તેમાંથી જે નીકળે તે માખણ કહેવાય. એજ રીતે દૂધ ની જેમ માણસો એ વિચારો નું  દોહન  કરવું જોઇએ. જીવન માં વિચારોરૂપી  સાર ભેગો કરવો પછી તેમાં ઠાકુરજી પ્રત્યે ના પ્રેમ ની  છાશ નાંખવી  અને  તેનુ  મંથન  કરવું  જેથી  તેમાંથી  જે માખણ નીકળે  બસ  તે માખણ તત્વ ને  આપણે  ભક્તિ ના રૂપ માં અપનાવી લેવું                કોઈક વાર  ગોપી ને ત્યાં જઈને ભગવાન માખણ માંગે છે ને ક્યારેક નથી હોતું ત્યારે ઠાકુરજી વ્રજવાસીઓ ના સુતેલા નાનકડા બાળકો ને જગાડે  છે ને  તેનો અર્થ એ છે કે ઠાકુરજી માયા માં સુતેલા જીવ ને જગાડે છે અને સંદેશો આપે છે કે સારા વિચારો કેળવો અને  પોતાના કાર્ય નિષ્ઠા  પ્રત્યે  જાગૃત  થવો. પુષ્ટિજીવાત્માંઓ એ પોતાની ફરજો પ્રત્યે સભાન રહેવું જોઈએ.
          
             કેટલીક વાર ઘણી  ગોપીઓ સાસુ ના કારણે  કન્હૈયા ને જોઇ શકતી નહોતી.ત્યારે મનોમન તેમને થતું હતું કે મારી ત્યાં કાનુડો ક્યારે આવશે ને ક્યારે મને દર્શન  આપશે????ત્યારે કાનુડો માખણ નાં બ્હાના નીચે ગોપીઓ ને દર્શન  આપવાં જતોં.....અને માખણ ની સાથે સાથે ગોપીઓ ના શુધ્ધ હ્રદયની ભાવના ને લઇ લેતો ,માખણ ખાતા કાનુડાને જોતા જોતા ગોપીઓ ના મન ક્યારે કૃષ્ણ દ્વારા ચોરાઇ જાતા તેની જાણ ગોપીઓ ને પણ ન રહેતી. જેને ત્યાં માખણ ભેગું કરાય છે પણ તે  કોઈ ને આપતો નથી તેના ઘર માં કૃષ્ણ ચોરી કરે છે, બાકી તો જ્યાં મન થી આપે છે તેને ત્યાં શાંતિ થી જઈ ને આરોગે  છે. 
          

           ભગવાન  ગોપીઓ ની ત્યાં ચોરી કરીને માખણ લેતા હતા આથી ગોપીઓ કાનુડા ને ખીજાતી અને ઠપકો આપતી પણ કન્હૈયો સાંભળી લેતો.યશોદાજી ચોરી કરે નહીં તે માટે પોતાના વ્હાલસોયા પુત્ર ને ગાડા સાથે બાંધી દે છે. કૃષ્ણ ખુશીથી સજા ભોગવતા હતા. જયારે તમે તમારા કરેલા પાપકર્મ ની સજા ભોગવો છો અને સજા પ્રાપ્ત કરો છો ત્યારે કરેલા પાપકર્મ નો નાશ થાય છે. કર્મ દરેક ને માટે સરખું જ છે પછી તે ભગવાન પણ કેમ ના હોય!!!!!
    

       કોઈ પણ પરિસ્થિતિ માં તમે  જિંદગી ની ઉજ્જવળ બાજુ ને જુઓ અને તમે કોઈને કેવી રીતે મદદ કરી શકો છો તે વિચારો. જ્યારે બધા જ વ્રજવાસિઓ કૃષ્ણ ના વિચાર સાથે મંજુર થયા અને પોતાના બાળકો ને, ગાય ને અને વાછરડા ની બરાબર કાળજી લેવા લાગ્યા ત્યાર પછી તેમને બીજી લીલા ઓ કરવાનું શરુ કર્યું. 

No comments:

Post a Comment

રૂપાણી સાહેબ ની જીવન ઝરમર

નમસ્કાર, દરેક ભારતીયજન ને મારા જીવનકાળ દરમિયાન બે મહાનુભાવોની જીવન શૈલી સરળ, ભલા-ભોળા(કપટ રહિત) અને સેવા -ભાવી...જોયા 1 સ્વ. શ્રી અમરસિંહ ચૌ...