ૐકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગીનમ
કામદં મોક્ષદં ચૈવ ‘ૐ’કારાય નમો નમઃ
ભારતમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે દેવોના દેવ મહાદેવને જાણતું ન હોય ! ભારતમાં ભાગ્યે જ કોઈ એવું ગામડું હશે કે જ્યાં શિવજીનું મંદિર કે ‘શિવાલય’ ન હોય. મૂર્તિપૂજા પ્રચલિત થતાં પૂર્વે શિવલિંગની પૂજા થતી હતી. રોમમાં ‘પ્રિયેપસ’, યુનાનમાં ‘ફલ્લુસ’ અને મિસરમાં ‘ઈશી’ના નામે શિવલિંગની પૂજા થતી હતી. ‘મોહેન-જો-ડેરો’ અને ‘હડપ્પ્પા’ની સંસ્કૃતિમાંથી પણ શિવલિંગ મળી આવ્યા હતા. જોકે કાળક્રમે ત્યાંની સંસ્કૃતિ બદલાતા શિવલિંગની પૂજા લૂપ્ત થઈ ગઈ. ભારતમાં શિવલિંગની પૂજા ચાલુ છે. આ રૂદ્રદેવને પ્રાચીનકાળથી ‘રાષ્ટ્રદેવ’ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.
‘શિવલિંગ’ના આકાર અને પ્રસ્થાપિત મંદિરને ધ્યાનમાં રાખીને એક ભયંકર પ્રચલિત માન્યતા સ્થિત કરી ગઈ છે કે ‘શિવલિંગ’ પૂજા એક લિંગ અને યોનીનું પૂજન છે. પરંતુ એ સત્ય નથી. આપણા હિંદુધર્મી એટલા મૂરખ પણ નથી કે જનનેંદ્રીયનું પૂજન કરે ! કોઈપણ બુદ્ધિશાળી વ્યક્તિને ગળે આ વાત ન ઉતરે.
પ્રાચીન સમયમાં ધરતી પર ઉલ્કાઓ પડતી હતી. કાળક્રમે તેનો આકાર લંબગોળાકાર થતો ગયો. આ પથ્થરો કાળક્રમે ‘કલ્યાણકારી પરમાત્મા’ની નિશાની સમજીને તેની પૂજા કરવાની શરૂઆત થઈ. આ પથ્થર એટલે લિંગ, શિવ એટલે કલ્યાણકારી. એટલે આ પથ્થર ‘શિવલિંગ’ તરીકે ઓળખાવા લાગ્યા. વહેતી ધારા અને ગરમીને કારણે કાળક્રમે ઘસાઈને લિંગ આકારના આ પથ્થરો ‘સ્વયંભૂ શિવલિંગ’ તરીકે ઓળખાવા લાગ્યા. વાતાવરણમાં ઘર્ષણથી તે સળગી ઊઠવાથી આ ‘સ્વયંભૂ શિવલિંગ’ ‘જ્યોતિર્લિંગ’ તરીકે ઓળખાવા લાગ્યા.
શિવલિંગમાં થાળુ, લિંગ, સર્પ તથા જળાધારી હોય છે. યૌગિક મત પ્રમાણે આપણા શરીરમાં જ શિવલિંગ છે. કરોડરજ્જુનો છેડો તે સ્વયંભૂ શિવલિંગ છે. શિવલિંગને વીંટળાયેલો સર્પ એ આપણી સર્પાકાર કુંડલિની છે જે ચંચળ અને તીવ્ર ગતિ ધરાવે છે. શિવલિંગનું થાળુ, તે યૌગિક ભાષામાં ‘સહસ્ત્રદળ કમળ’નું પ્રતિક ગણાય છે જેમાં શિવજીનો વાસ છે. શિવલિંગ પર લટકાવવામાં આવતું જળાધારમાંથી ટપકતું જળ અને દૂધ ‘સહસ્ત્રધાર ચક્ર’માં રહેલ આત્મા અને પરમાત્માની એકતાનું પ્રતિક છે.
No comments:
Post a Comment